મહિલા અસ્મિતાની લડાઈમાં રૂપાલાને કારણે ભાજપની 2 'બેન' ભરાઈ, સતત સભાઓ કેન્સલ

Rupala Controversy : જામનગરમાં ભાજપ કાર્યાલય પર વિરોધ કરનારા સામે નોંધાયો ગુનો, જામનગરના વોર્ડ નં-6ના ભાજપ કાર્યાલય પર કરાઈ હતી તોડફોડ, 100 જેટલા લોકો સામે રાયોટિંગ ગુનો નોંધાયો 

મહિલા અસ્મિતાની લડાઈમાં રૂપાલાને કારણે ભાજપની 2 'બેન' ભરાઈ, સતત સભાઓ કેન્સલ

Loksabha Election 2024 : રૂપાલા સામે ક્ષત્રિયોના વિરોધનો સામનો હવે ભાજપના અન્ય નેતાઓને કરવો પડી રહ્યો છે. ગુજરાતના ગામેગામે ક્ષત્રિય આંદોલન વ્યાપી ગયું છે. ત્યારે રાજપૂતોના વિરોધને પગલે ભાજપના નેતાઓ હવે ગુજરાતના ગામડાઓમાં પ્રચાર માટે જતા ડરી રહ્યાં છે. રાજપૂતોનો વિરોધ શહેરો કરતા ગામડાઓમાં વધુ જોવા મળી રહ્યો છે. ભાજપના અનેક નેતાઓને આ વિરોધનો સામનો કરવો પડ્યો છે. ત્યારે જામનગર જિલ્લામાં મોટો વિરોધ જોવા મળી રહ્યો છે. રજામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ ફૂંકાયો હતો. ભાજપના ઉમેદવાર પૂનમ માડમની સભામાં અને રેલીમાં ક્ષત્રિયો ધસી આવ્યા હતા. કાળા વાવટા ફરકાવી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. જેના બાદ 100થી વધુ યુવાનોની અટકાયત કરવામાં આવી હતી.

પૂનમ માડમના કાર્યક્રમમાં વિરોધ 
ભાજપના લાખ પ્રયાસો છતા ક્ષત્રિય સમાજનો રોષ ઓછો થઈ નથી રહ્યો. આવામાં હવે સમાજના યુવાઓએ બાંયો ચઢાવી છે. હાલ સમગ્ર જામનગરમાં ક્ષત્રિયોનો આકરો રોષ જોવા મળી રહ્યો છે. જામનગરમાં સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે, જામજોધપુર કાલાવડ નવાગામ ઘેડ બાદ ગતરોજ ધ્રોલમાં પૂનમબેનના રોડ શો અને સભામાં ક્ષત્રિયોએ વિરોધ કર્યો હતો. 

ગઈકાલે ધ્રોલમાં પૂનમ માડમના શોમાં ક્ષત્રિયો આવી પહોંચ્યા હતા. ભાજપના કાર્યાલય પર આવેલા મોટી સંખ્યામાં ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. જામનગર શહેરના વોર્ડ નંબર 6 વિસ્તારમાં ગઈકાલ રાત્રે આ ઘટના બની હતી. જેના બાદ  ભાજપ કાર્યાલય પર વિરોધ કરનારા 100 લોકો સામે આજે ગુનો નોંધાયો છે. વોર્ડ નંબર 6 ના ભાજપ કાર્યાલય પર તોડફોડ કરાઈ હતી. 100 જેટલા લોકો સામે રાયોટીંગ સહિતની કલમો હેઠળ સીટી સી ડિવિઝનમાં ગુનો નોંધાયો છે. સીસીટીવી ફૂટેજના આધારે ટોળામાં જે વ્યક્તિ હાજર હતા તેમની શોધખોળ હાથ ધરાઈ છે.

આ પહેલા પણ જામનગરના વોર્ડ નંબર 4ના ગાયત્રી ચોક વિસ્તારમાં ક્ષત્રિયોનો વિરોધ જોવા મળ્યો હતો. ભાજપના કાર્યાલય ઉદ્ઘાટન સમયે વિરોધ પ્રદર્શન કરાયું હતું. ઉદ્ઘાટન સમયે વોર્ડના કોર્પોરેટર તથા શહેર સંગઠન અને શહેર પ્રમુખ ઉપસ્થિત હતા. ઉલ્લેખનીય છે કે, હવે એવી ચર્ચા ઉઠી છે કે, ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ રણનીતિ બદલી છે. પસોત્તમ રૂપાલા રાજકોટમાં છેલ્લાં 5 દિવસથી જુદા-જુદા સમાજનાં સ્નેહમિલનમાં હાજરી આપી રહ્યા છે. પરંતું તેઓ ગામડે જવાનું ટાળી રહ્યાનો ગણગણાટ અંદરખાને શરૂ થયો છે.   

ભાવનગરમાં પણ વિરોધ
હજી એક દિવસ પહેલા ભાવનગરમાં ભાજપના લોકસભાના ઉમેદવારની પ્રચાર સભામાં ક્ષત્રિય યુવાનોએ કાળા વાવટા ફરકાવ્યા હતા. લોકસભાના ઉમેદવાર નિમુબેન બાંભણીયાનું આગમન થતા જ એકાએક 70 થી વધુ યુવાનોનું ટોળું સભા સ્થળે ધસી આવ્યું હતું. સભા સ્થળ પોલીસ છાવણીમાં ફેરવાયું હોવા છતાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ક્ષત્રિય યુવાનોએ ઘૂસી આવી વિરોધ નોંધાવ્યો હતો. યુવાનોએ કાળા વાવટા ફરકાવી સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરતા પોલીસે તમામ યુવાનીની અટકાયત કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news