'તમારી તાકાત નથી કે બંધારણને તમે દરિયામાં નાખી શકો', ગેનીબેન ઠાકોરના ભાજપ પર પ્રહાર

Loksabha Election 2024: કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૉધરી અને ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે તમારી સાત પેઢીઓ પણ આવી જાય ને તો પણ તમારી તાકાત નથી કે આ બાબા સાહેબે આંબેડકરના બંધારણને તમે દરિયામાં નાખી શકો. બંધારણનું રક્ષણ કરવાવાળો વર્ગ લાખો કરોડોમાં છે.

'તમારી તાકાત નથી કે બંધારણને તમે દરિયામાં નાખી શકો', ગેનીબેન ઠાકોરના ભાજપ પર પ્રહાર

અલકેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠાના અમીરગઢના ઈકબાલગઢ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહીલની અધ્યક્ષતામાં ન્યાય સંકલ્પ સભા યોજાઈ, જેમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને શક્તિસિંહ ગોહિલે ભાજપ ઉપર આકરા પ્રહારો કરી કોંગ્રેસ તરફી મતદાન કરવા લોકોને અપીલ કરી.

લોકસભાની ચૂંટણીના મતદાનને ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે પ્રચારના આખરી ચરણોમાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓ જંગી સભાઓને સંબોધન કરીને તેમના પક્ષ તરફી મતદાન કરાવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે આજે બનાસકાંઠામાં અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં જાહેર ચૂંટણી સભા યોજાઈ હતી. કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર, દાંતાના ધારસભ્ય કાન્તિ ખરાડી સહિત કોંગ્રેસના આગેવાનો નેતાઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૉધરી અને ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે તમારી સાત પેઢીઓ પણ આવી જાય ને તો પણ તમારી તાકાત નથી કે આ બાબા સાહેબે આંબેડકરના બંધારણને તમે દરિયામાં નાખી શકો. બંધારણનું રક્ષણ કરવાવાળો વર્ગ લાખો કરોડોમાં છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સવિધાન પદ ઉપર હોય તો પણ જાહેરમાં ભાષણ કરે છે. મારા પેજ ઉપર જોજો મેં વિડિઓ મુક્યા છે. સિવિલ હોસ્પિટલનો સ્ટાફ અને તેના ડિરેક્ટરો વોટ આપવા માટે અપીલ કરે તેવો વિડિઓ છે. ડેરીના અધિકારીઓ બધાને ભાડા ચૂકવે તો ય ચૂંટણી પંચ તેમની ઉપર કોઈ પગલાં ન લે...

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં માંડ માંડ ફાળો કરીને 5 લાખના ખર્ચે કોંગ્રેસે પોસ્ટરો લગાવ્યા પણ દોઢ દિવસમાં જ ભાજપના અધિકારીઓ જે ભાજપના પટ્ટા પહેરીને બેઠાં છે. ચીફ ઓફિસરો અને બીજા એમને પોસ્ટરો ઉતારી નાખ્યા. હું એમને કહેવા માગું છું કે તમે બનાસકાંઠા જિલ્લા આખામાંથી કોંગ્રેસ પોસ્ટરો કાઢી નાંખશો, પણ જિલ્લાની જનતાના દિલમાં કોંગ્રેસનું સ્થાન છે, એ નહિ નીકાળી શકો..પ્રિયંકા જી આવે ત્યારે ઝંડા ઉતારી દે એ એમની માનસિકતા છે. એમને સત્તાનો જેટલો દુરુપયોગ કરવો હતો કે કરી દીધો છે છતાં પણ નવ લે છે અને તેર ફૂટે છે. અમને બેલેટમાં વોટ ખોટા કરાવ્યા તમામ અધિકારીઓના વોટ ખોટા કરાવ્યા છતાં પણ હું એમને ચેલેન્જ આપું છું કે હવે 24 કલાક બાકી છે તમે ઓછા ન ઉતરતા અમારો બનાસકાંઠા જીલ્લો તમને જવાબ આપવા સક્ષમ છે પછી કેતા નહિ કે અફસોસ રહી ગયો. હું કહું છું કે તમારે જેટલો પણ મશીનરીનો ઉપયોગ કરવો હોય તે કરી લેજો પણ આ દુરુપયોગ કરવા વાળાઓ તમારા આકાઓ સતા ઉપર કાયમી નહિ રહેવાના અને 8 તારીખ પછી તમારો ફોન નથી ઉપડવાના એટલે હું તમને કહું છું લોકશાહીનું ગળું ન દબાવતા અને લોકશાહીની ઢબે ચૂંટણી થવા દો. તમે બધા એવું મતદાન કરો કે દિલ્હી સુધી કરંટ લાગવો જોઈએ.

લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે હવે નેતાઓ જાહેરમાં પ્રચાર નહિ કરી શકે ત્યારે કોંગ્રેસ ધારસભ્ય કાન્તિ ખરાડીએ લોકશાહીને નુકશાન રૂપ ન થાય તેવી રીતે ચૂંટણી થાય તેવી માંગ કરી હતી તો કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે દાંતામાં ભાજપ દ્વારા ગોળ આપીને લોકોને ખરીદવાના વિડિઓ તેમને ટિવટ કર્યો હોવાનું કહીને કહ્યું હતું કે પ્રજા હવે સમજી ગઈ છે એ ગોળ આપે કે નોટ લોકો હવે વેચાવાના નથી..તો બીજી તરફ શક્તિસિંહ ગોહિલે ભાજપની સરકાર ઉપર આકરા પ્રહારો કરીને તેમના સાશનમાં લોકો પીસાઈ રહ્યા હોવાનું કહી લોકો તેમને જાકારો આપશે તેવો દાવો કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news