બાપુ લડે છે ગોરો સે, હમ લડેંગે ચોરો સે! આ નારો આપનારા હાર્દિક, અલ્પેશ, માલવિયા, કથીરિયાને ભાજપમાં જ કેમ જવું છે?

Patidar Samaj : નારો આપનારા ગુજરાતના પાટીદાર અનામત આંદોલનના નેતાઓ ભાજપ ભેગા કેમ થયા! ભાજપની શરણ લેતા આંદોલનકારીઓને પાસના અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું, પાટીદાર સમાજ તમને ક્યારેય માફ નહિ કરે 
 

બાપુ લડે છે ગોરો સે, હમ લડેંગે ચોરો સે! આ નારો આપનારા હાર્દિક, અલ્પેશ, માલવિયા, કથીરિયાને ભાજપમાં જ કેમ જવું છે?

Gujarat Politics : ગુજરાતમાં દરેક આંદોલનકારીનું પહેલું સ્ટેપ રાજકારણમાં એન્ટ્રી, અને બીજુ સ્ટેપ ભાજપમાં એન્ટ્રી એવો વણલખાયેલો નિયમ બની ગયો છે. આખરે સરકાર અને ભાજપને ગાળો ભાંડનારા આંદોલનકારીઓ ભાજપમાં કેમ જોડાય છે. હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, અલ્પેશ ઠાકોર, ચિરાગ, વરુણ, માલવિયાને ભાજપમાં કેમ જવું પડ્યુ. પાસના નેતા અને એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે આ વિશે સવાલો કર્યાં છે. 

સમાજ હવે કોઈ સાચા આંદોલનકારી ઉપર વિશ્વાસ નહિ કરે
પાસ કન્વીનર અલ્પેશ કથીરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવવા મામલે લાલજી પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. Spg અધ્યક્ષ લાલજી પટેલએ સૂચક નિવેદન આપતા કહ્યું કે, બંને કન્વીનર ભાજપમાં જોડાતા સમાજમાં દુઃખની લાગણી છે. સમાજ હવે કોઈ સાચા આંદોલનકારી ઉપર વિશ્વાસ નહિ કરે. જેને જેમાં જોડાવવું હોય ત્યાં જોડાય, પરંતુ સમાજ ન પ્રશ્નો ભૂલે નહિ. 

પાટીદાર સમાજ આવા નેતાઓને ક્યારેય માફ નહિ કરે 
પાટીદાર અનામત આંદોલને સમાજને નવા નેતાઓ આપ્યા. આ પાટીદાર આંદોલનકારીઓએ ગુજરાત સરકાર અને ભાજપને ભાંડવામાં કંઈ બાકી રાખ્યું ન હતું. પરંતું આંદોલનના વાવટા સમેટાયા, અને બાદમાં એક બાદ એક આંદોલનકારી ભાજપમાં જોડાતા ગયા. હાર્દિક પટેલ, કાથીરિયા, અલ્પેશ ઠાકોર, ચિરાગ, વરુણ પટેલ, ધાર્મિક માલવિયાએ સમયની સાથે કેસરિયા કરી લીધા. ત્યારે પાટીદાર નેતા લાલજી પટેલે સવાલો કર્યા કે, આંદોલન વખતે સમાજના નામે રાજકારણ કરીને નેતા બન્યા, તેને પક્ષપલટો કરવાની કેમ જરૂર પડી છે. સરકાર અને ભાજપ સામે બાંયો ચઢાવનારા પાટીદાર નેતાઓ હવે કયા મોઢે ભાજપમાં જોડાઈ રહ્યાં છે, તે સમજાતું નથી. પણ પાટીદાર સમાજ આવા નેતાઓને ક્યારેય માફ નહિ કરે 

પાટીદાર અનામત આંદોલન ગુજરાતભરમાં સળગ્યું હતું. જેમાં 14 પાટીદાર યુવકોના મોત નિપજ્યા હતા. તો બીજી તરફ, અલ્પેશ ઠાકોરે સરકાર સામે મોરચો માંડ્યો હતો. પરંતું આંદોલન બાદ તમામ આંદોલનકારી નેતાઓએ રાજકારણમાં એન્ટ્રી કરી લીધી. કોઈ ભાજપમાં ગયુ, કોઈ આપમાં ગયું, અને કોઈ કોંગ્રેસમાં ગયું. પણ હવે બધાનો અંતિમ મુકામ ભાજપ બન્યો છે. હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર તો ધારાસભ્યો પણ બની ગયા. હવે આપમાં ગયેલા અલ્કેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાયા છે. 

ભાજપની શરણ લેતા આંદોલનકારીઓને ટોણો મારતા લાલજી પટેલે કહ્યું કે, પાટીદાર અનામત આંદોલન વખતે આ બધાય પાટીદાર નેતાઓ જાહેરમંચ પરથી બોલતા હતા કે, બાપુ લડે થે ગોરો સે, હમ લડેંગે ચોરો સે. હવે આ નારાનું શું થશે. રાજકારણમાં પ્રવેશ કરવા માટે આંદોલનકારીઓએ પાટીદાર સમાજનો દુરુપયોગ કર્યો તે વાત સાચી છે. જો આ બધા સક્ષમ નેતાઓ હોય તો પક્ષપલટો કરવાની જરૂર કેમ પડી. આગામી 100 વર્ષમાં હવે આવા નેતાઓ પર કોઈ વિશ્વાસ નહિ કરે. ખુદ પાટીદાર સમાજ તેઓને માફ નહિ કરે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news