પાટીલ ધોકો પછાડે તો પણ આ બેઠકો પર 5 લાખની લીડ અશક્ય, 22 બેઠકોનાં ગાબડાં એમ ના પૂરાય

Gujarat Lok Sabha Election 2024: સીઆર પાટીલે દરેક સીટ 5 લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ મૂક્યો છે પણ આંકડાઓ કહી રહ્યાં છે કે ભાજપનાં આ ધોળેદહાડે સપનાં છે. રાજ્યમાં 156 સીટો જીતીને ભાજપે પોતાનો પાવર પૂરવાર કર્યો છે પણ 26માંથી 26 લોકસભા 5 લાખની લીડથી જીતવી એ અતિશયોક્તિભર્યું છે. પાટીલ ધોકો પછાડે તો પણ કેટલીક બેઠક પર 5 લાખની લીડ અશક્ય છે. 22 બેઠકોનાં ગાબડાં એમ ના પૂરાય, જાણી લો આ કઈ છે બેઠકો... 

પાટીલ ધોકો પછાડે તો પણ આ બેઠકો પર 5 લાખની લીડ અશક્ય, 22 બેઠકોનાં ગાબડાં એમ ના પૂરાય

Gujarat Lok Sabha Election 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. રાજ્યમાં ભાજપ વટ માટે, કોંગ્રેસ અસ્તિત્વ માટે તો આપ ગુજરાતમાં ઉદય માટે ચૂંટણી લડી રહી છે. ભાજપ અહીં હેટ્રીક ફટકારવા માટે તો આપ અને કોંગ્રેસ ભાજપના મિશનમાં પંક્ચર પાડવા માટે કમરકસી રહ્યાં છે. ગુજરાતના તમામ સરવેમાં ભાજપના વન વે જીતના દાવાઓ થઈ રહ્યાં છે. જેનું મુખ્ય કારણ કોંગ્રેસની નબળાઈ અને ભાજપનો સરકાર, સત્તા અને સંગઠનનો પાવર પણ છે. સીઆર પાટીલે અહીં દરેક સીટ 5 લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ મૂક્યો છે પણ આંકડાઓ કહી રહ્યાં છે કે ભાજપનાં આ ધોળેદહાડે સપનાં છે.

રાજ્યમાં 156 સીટો જીતીને ભાજપે પોતાનો પાવર પૂરવાર કર્યો છે પણ 26માંથી 26 લોકસભા 5 લાખની લીડથી જીતવી એ અતિશયોક્તિભર્યું છે. ભાજપ ભલે સપનાં જુએ પણ અહીં હેટ્રીક ફટકારવા માટે ભારે મહેનત કરવી પડશે એ નક્કી છે. 

70 ટકાથી વધારે વોટશેર જોઈએ તો શક્ય બને...

ભલે ભાજપ દાવાઓ કરી રહી છે પણ અત્યારસુધીના આંકડાઓની વાસ્તવિકતા કંઈક અલગ છે. રાજ્યમાં ભાજપે વોટશેર વધારીને 62થી 63 ટકાએ પહોંચાડ્યો છે. એ વોટશેર ભાજપ 70 ટકાની આસપાસ લઈ જવા માગે છે. મોદીના પીએમ બન્યા બાદ ગુજરાતમાં એક તબક્કે કોંગ્રેસની સમકક્ષ વોટશેર ધરાવતી પાર્ટી મજબૂત બની છે.

ભાજપનો પેજ પ્રમુખનો આઈડિયા અને બુથ મેનેજમેન્ટે ભાજપને મજબૂત બનાવ્યુ છે પણ ભાજપ એ ભૂલી રહ્યું છે કે આજે પણ સત્તાવિરોધી લહેર એટલી જ છે. 33 ટકા ગુજરાતીઓ કોંગ્રેસને મત આપે છે. એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતા ગુજરાતમાં 3 દાયકાથી ભાજપનું શાસન છે અને હવે કોંગ્રેસ અસ્તિત્વ બચાવવા લડી રહી છે.  

લોકસભા ચૂંટણી 2019 પરિણામ (ગુજરાત રાજ્ય)
               
ક્રમ બેઠકનું નામ                                ભાજપ                                            કોંગ્રેસ  
    મળેલા મત ભાજપના ઉમેદવારનું નામ મળેલા મત કોંગ્રેસના ઉમેદવારનું નામ જીતનું માર્જિન  
               
1 કચ્છ (SC) 637034 વિનોદ ચાવડા 331521 નરેશ મહેશ્વરી 305513  
2 બનાસકાંઠા 679108 પરબતભાઈ પટેલ 310812 પરથીભાઈ ભટોળ 368296  
3 પાટણ 633368 ભરતસિંહ ડાભી 439489 જગદીશ ઠાકોર 193879  
4 મહેસાણા 659525 શારદાબેન પટેલ 378006 એ.જે. પટેલ 281519  
5 સાબરકાંઠા 701984 દિપસિંહ રાઠોડ 432997 રાજેન્દ્રસિંહ ઠાકોર 268987  
6 ગાંધીનગર 894624 અમિત શાહ 337610 ડો. સી. જે. ચાવડા 557014  
7 અમદાવાદ (પૂર્વ) 749834 હસમુખભાઈ પટેલ 315504 ગીતાબેન પટેલ 434330  
8 અમદાવાદ (પશ્ચિમ) SC 641622 કિરિટ સોલંકી
320076
રાજુ પરમાર 321546  
9 સુરેન્દ્રનગર 631844 ડો. મહેન્દ્રભાઈ મુંજાપરા 354407 સોમાભાઈ કોળીભાઈ પટેલ 277437  
10 રાજકોટ 758645 મોહનભાઈ કુંડરિયા 390238 લલિતભાઈ કગથરા 368407  
11 પોરબંદર 563881 રમેશભાઈ ધડૂક 334058 લલિતભાઈ વસોયા 229823  
12 જામનગર 591588 પૂનમબેન માડામ 354784 મૂળુભાઈ કંડોરીયા 236804  
13 જૂનાગઢ 547952 રાજેશભાઈ ચૂડાસમા 397767 પૂજાભાઈ વંશ 150185  
14 અમરેલી 529035 નારણભાઈ કાછડિયા 327604 પરેશ ધાનાણી 201431  
15 ભાવનગર 661273 ડો. ભારતીબેન શિયાળ 331754 મનહરભાઈ પટેલ 329519  
16 આણંદ 633097 મિતેષ પટેલ 435379 ભરત સોલંકી 197718  
17 ખેડા 714572 દેવુસિંહ ચૌહાણ 347427 બિમલ શાહ 367145  
18 પંચમહાલ 732136 રતનસિંહ રાઠોડ 303595 વી.કે.ખાંટ 428541  
19 દાહોદ (ST) 561760 જસવંતસિંહ ભાભોર 434164 બાબુભાઈ કટારા 127596  
20 વડોદરા 883719 રંજનબેન ભટ્ટ 294542 પ્રશાંત પટેલ 589177  
21 છોટા ઉદેપુર (ST) 764445 ગીતાબેન રાઠવા 386502 રણજીતસિંહ રાઠવા 377943  
22 ભરૂચ 637795 મનસુખ વસાવા 303581 શેરખાણ પઠાણ 334214  
23 બારડોલી (ST) 742273 પ્રભુ વસાવા 526826 તુષાર ચૌધરી 215447  
24 સુરત 795651 દર્શના જરદોશ 247421 અશોક પટેલ 548230  
25 નવસારી 972739 સી.આર.પાટીલ 283071 ધર્મેશ પટેલ 689668  
26 વલસાડ 771980 ડો. કે. સી.પટેલ 418183 જીતુભાઈ ચૌધરી 353797

2019ની લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો ભાજપે 62.21 ટકાના જંગી વોટ શૅર સાથે તમામ 26 બેઠક જીતી હતી. કૉંગ્રેસને એ ચૂંટણીમાં 32.11 ટકા મત મળ્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીનાં પરિણામો પર નજર કરીએ તો કુલ ચાર બેઠકો પર ભાજપની સરસાઈ પાંચ લાખ કરતાં વધુ હતી. આ ચાર બેઠકોએ અમિત શાહની  ગાંધીનગર, રંજનબેન ભટ્ટની વડોદરા, દર્શનાબેન જરદોશની સુરત અને સીઆર પાટીલની નવસારી બેઠક હતી. આ ચાર બેઠકોને બાદ કરતાં મોટા ભાગની બેઠકો પર ભાજપની સરસાઈ બે લાખ મત કરતાં વધુ હતી.

માત્ર પાટણ, આણંદ, દાહોદ અને જૂનાગઢમાં જ તેની જીતની સરસાઈ બે લાખ કરતાં ઓછી હતી. આ બેઠકો પર આજે પણ ભાજપ મજબૂત બનવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપે પાટણમાં તો ભરતસિંહ ડાભીને ફરી રીપિટ કર્યા છે. જૂનાગઢમાં તો ભાજપ ઉમેદવાર નક્કી કરી શકી નથી. ભાજપે આ વર્ષે ઓપરેશન લોટસ ચલાવી મોટાભાગની બેઠકો નબળી બનાવવાનો પ્રયાસ કર્યો છે છતાં 5 લાખની લીડથી જીતવું એ અઘરું છે. ગઈકાલે કમલમમાં યોજાયેલી બેઠકમાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકોને લઈને ચર્ચા કરાઈ હતી. જેમાં જિલ્લા પ્રમુખો, ધારાસભ્યો અને ક્લસ્ટર ઈન્ચાર્જોની બેઠકમાં હાજરી જોવા મળી. આ બેઠકમાં લોકસભા ચૂંટણીને રણીનીતિ અને કામગીરી અંગે ચર્ચા કરાઈ હતી. 

નેતાઓ મૌન રહ્યાં 
સી.આર પાટીલની અધ્યક્ષતામાં દોઢ કલાક સુધી બેઠક ચાલી હતી. જેમાં તમામને બુથ સ્તર પર મજબૂતીથી કામ કરવા સૂચના અપાઈ. તેમજ દરેક સીટ પર 5 લાખથી વધુની લીડથી ચૂંટણી જીતવા કામે લાગી જવા સૂચના અપાઈ હતી. સાથે જ બેઠકમાં નબળી બેઠકોની યાદી અને સૂચનો પણ માગવામાં આવ્યા. આ બેઠકમાં ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો અને ક્લસ્ટર ઈન્ચાર્જોને સી.આર પાટીલે પુછ્યું કે, નબળી બેઠકો હોય તો જણાવો. ત્યારે બેઠકમાં હાજર નેતાઓમાંથી કોઈ પણ કશું બોલ્યા ન હતા. 

જોકે, આ બેઠકમાં ગુજરાત ભાજપના 156 ધારાસભ્યોમાંથી 55 ધારાસભ્યોને ગેરહાજરી આંખે ઉડીને વળગે તેવી હતી. પાટીલે બેઠકમાં ચીમકી આપતા કહ્યુ હતું કે, ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાં દરેક સંસદાય વિસ્તારમાં કોઈને પાંચ લાખની લીડ મેળવવામાં મુશ્કેલી લાગતી હોય તો મને કહે. પછી પોણા પાંચ આવશે તો કોઈ બહાનું નહિ ચલાવી લેવાય.

26 બેઠકો પર આટલી લીડ મેળવીને જીતવાનું સંભવ નથી

આ લોકસભાની ચૂંટણીમાં ભાજપના 4 મંત્રીઓ ચૂંટણી લડી રહ્યાં છે. ભાજપ માટે 26માંથી 26 બેઠકો જીતી 26 કમળ દિલ્હી મોકલવા એ આબરૂનો સવાલ છે. આમ છતાં કડવી વાસ્તવિકતા એ છે કે, બૂથ લેવલની વાત કરીએ તો કુલ 15 હજાર બૂથમાં ભાજપ પાછળ ચાલે છે. આ સંજોગોમાં ભાજપ તેના માઇક્રો મૅનેજમૅન્ટથી મતોની ટકાવારીમાં વધારો કરી શકશે, પરંતુ તમામ 26 બેઠકો પર આટલી લીડ મેળવીને જીતવાનું સંભવ નથી.” દેશમાં પણ વાત કરીએ તો લોકસભા ચૂંટણી 2024માં 370 કરતાં વધારે સીટો જીતવાની તૈયારીમાં વ્યસ્ત ભાજપની સામે એ 50 સીટો જીતવા માટેના પણ પડકારો છે જે છેલ્લી 2019ની ચૂંટણીમાં પાર્ટીએ જીતી હતી.

જે સીટો ભાજપે 2019માં 50 હજાર કરતાં પણ ઓછા મતથી જીતી હતી તે સીટો બચાવવા માટે ભાજપે તૈયારી હાથ ધરી છે. પાર્ટીમાં આના માટે રણનીતિ બનાવવામાં આવી રહી છે. ગુજરાત લોકસભાની 2019ની ચૂંટણીમાં કુલ ૩૭૧ ઉમેદવારો મેદાનમાં હતા અને ગુજરાતની જનતાએ ૬૪ ટકા જેટલું ઉંચુ મતદાન કરીને રાજયનો બાવન વર્ષ જૂનો મતદાનની ટકાવારીનો રેકોર્ડ તોડયો હતો. આ વર્ષે ભાજપ મતદાનનો નવો રેકોર્ડ બનાવવા માગે છે. 

લોકસભા પ્રમાણે 2019 અને 2024માં કેવા છે સમીકરણો

(1) અમદાવાદ (પૂર્વ): ગઢ સાચવવામાં ભાજપને સફળતા
અમદાવાદ (પૂર્વ)ની બેઠક પર મુખ્ય રીતે ભાજપના હસમુખભાઈ પટેલ અને કોંગ્રેસના ગીતાબેન પટેલ વચ્ચે મુકાબલો હતો. આ બેઠક પર ભાજપના હસમુખ પટેલે કોંગ્રેસના ગીતાબેન પટેલને 434330 મતોથી હરાવ્યાં. આ બેઠક આમ તો પ્રમાણમાં નવી રચાયેલી બેઠક છે. 2008માં ડિ-લિમિટેશનની પ્રક્રિયા બાદ આ મતવિસ્તારની રચના થઈ અને ત્યારબાદ 2009 અને 2014 એમ બે લોકસભા ચૂંટણી યોજાઈ ચૂકી છે. બંને ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો વિજયી થયા હતાં. એટલે આ બેઠકને ભાજપનો મજબુત ગઢ માનવામાં આવી રહ્યો છે. આ વર્ષે ભાજપે હસમુખભાઈને રીપિટ કર્યા છે.  અહીં હસમુખ પટેલ સામે વિરોધ છતાં શિસ્તબદ્ધ પાર્ટીના નેતાઓએ ચૂપકીદી સેવી લીધી છે. 

(2) અમદાવાદ (પશ્ચિમ): BJPએ કીરિટ સોલંકીને કાપ્યા નવા ઉમેદવાર દિનેશ મકવાણા

અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભાજપના કીરિટ સોલંકીએ કોંગ્રેસના રાજુ પરમારને 321546 મતોથી હરાવ્યાં હતા.. નવા સિમાંકન બાદ 2009માં અસ્તિત્વમાં આવેલી આ બેઠક પર છેલ્લી બંને ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે. શહેર વિસ્તારમાં આવતી પણ અનામત છતાં ભાજપની આ બેઠક પર જબરદસ્ત પકડ છે. છેલ્લી બંને ચૂંટણીમાં ભાજપના કિરિટ સોલંકી જીત્યા છે. અમદાવાદ પશ્ચિમ બેઠકમાં  એલિસબ્રિજ, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા,  મણિનગર,  દાણીલીમડા,  અસારવા મળી કુલ 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, જેમાંથી ચાર ભાજપ અને ત્રણ કૉંગ્રેસ પાસે છે. અમદાવાદ પશ્ચિમ બેઠકમાં 16,27,399 મતદારોનો છે. જેમાં અંદાજિત પટેલ મતદારોની સંખ્યા 2,30,448, વણિક 1,28,597, દલિત 2,60,229 અને મુસ્લિમ મતદારોની સંખ્યા 2,62,743 જેટલી છે. આ ચૂંટણીમાં ભાજપે ઉમેદવાર બદલીને દિનેશ મકવાણાને ટિકિટ આપી છે. 

(3) અમરેલીમાં પરેશ ધાનાણી પર હતી આશા

2019માં કોંગ્રેસને આ બેઠક પર મોટી આશા હતી. જેમાંની એક બેઠક અમરેલી હતી. આ બેઠક પરથી ભાજપના સીટીંગ એમએલએ સામે કોંગ્રેસે ધૂરંધર નેતા પરેશ ધાનાણીને ઊભા રાખ્યા હતાં. પરંતુ કોંગ્રેસે હારનો સામનો કરવાનો વારો આવ્યો. અમરેલી બેઠક પર નારણભાઈ કાછડિયાએ કોંગ્રેસના પરેશ ધાનાણીને 201431 મતોથી હરાવ્યાં હતા. અમરેલીમાં 7 વિધાનસભા વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં 8,43,668 પુરૂષ, 7,84,ર91 મહિલા અને ૨૧ થર્ડ જેન્‍ડર એમ કુલ 16,ર7,980 મતદારોએ  પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગત ચૂંટણી કરતા આ વખતે 2 ટકા મતદાન પણ વધુ નોંધાયું હતું. આ લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી. ભાજપ અહીંથી ફરીથી પરેશ ધાનાણીને ઉમેદવાર બનાવી શકે છે.

(4) આણંદ: ભરતસિંહ સોલંકી નહોતા તારી શક્યા બેઠક

આણંદ બેઠક પર ભાજપના મિતેષ પટેલે કોંગ્રેસના ભરત સોલંકીને 1,97,718 મતોથી હરાવ્યાં હતા.  લોકસભા ચૂંટણી 2019માં જાણે આણંદવાસીઓએ કોંગ્રેસ સરકાર ઇચ્છતી જ ના હોય તેમ પરિણામમાં ભાજપ તરફી ટ્રેન્ડ જોવા મળ્યાં. આમ તો આણંદ બેઠક પર વર્ષોથી કોંગ્રેસનો દબદબો રહ્યો છે. તેમ છતાં આણંદ બેઠક પર ભાજપના ઉમેદવાર મિતેષ પટેલે કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી હરાવીને જીત મેળવી હતી.  એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠકમાં ભાજપ અહીં દબદબો જાળવી રહી છે. આ વર્ષે પણ ભાજપે અહીં મિતેશ પટેલને રીપિટ કર્યા છે. કોગ્રેસમાં અહીંથી અમિત ચાવડાનું નામ ચાલી રહ્યું છે. 

(5) બનાસકાંઠા: બે મહિલા વચ્ચે જંગ, ગેનીબેન સામે રેખાબેન

ગુજરાતની આ બનાસકાંઠા બેઠક પર ચૌધરી સમાજના બાહુબલી નેતાઓ પરબત પટેલ અને પરથી ભટોળ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. પરબત પટેલ જીત્યા છે. બનાસકાંઠા બેઠક પર ભાજપના પરબત પટેલે કોંગ્રેસના પરથીભાઈ ભટોળને 368296 મતોથી હરાવ્યાં. 2019ની લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક માટે ભાજપે સીટિંગ સાંસદ હરિભાઈ ચૌધરીની જગ્યાએ પરબત પટેલ પર પસંદગી ઉતારી હતી. જ્યારે કોંગ્રેસે પરથી ભટોળને ઉમેદવાર બનાવ્યાં હતાં. આ બેઠક પર 10 વાર કોંગ્રેસે તો 5 વાર ભાજપે જીત મેળવી છે. છેલ્લી બે ટર્મથી બનાસકાંઠા બેઠક પર ભાજપના પરબત પટેલે કોંગ્રેસના પરથીભાઈ ભટોળને 368296 મતોથી હરાવ્યાં. ભાજપના હરિભાઈ ચૌધરી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. આ લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરી વચ્ચે જંગ ખેલાવાનો છે. અહીં ભારે રસાકસી રહે તેવી સંભાવના છે. 

(6) બારડોલી: કોંગ્રેસની પરંપરાગત બેઠક પર પભુ વસાવા રીપિટ

બારડોલી બેઠક પર આ વખતે કોંગ્રેસ દ્વારા અગાઉ અહીંથી બે વખત સાંસદ રહી ચુકેલા તુષાર ચૌધરીને ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે ભાજપ તરફથી પ્રભુ વસાવા મેદાનમાં હતાં. બારડોલી બેઠક પર પ્રભુ વસાવાએ કોંગ્રેસના તુષાર ચૌધરીને 215447 મતોથી હરાવ્યાં હતા. જીતેલા ઉમેદવાર પ્રભુ વસાવાને 742273 મતો અને કોંગ્રેસના તુષાર ચૌધરીને 526826 મતો મળ્યાં છે. એટલે કે પ્રભુ વસાવા 215447 મતોથી જીતી ગયાં. કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના સુપુત્ર પણ છે. જેમની સામે ભાજપ દ્વારા 2014ની ચૂંટણીમાં તુષાર ચૌધરીને હરાવીને વિજેતા બનેલા પ્રભુ વસાવાને રીપિટ કરવામાં આવ્યા હતાં. એટલે અહીં આ વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર હતી. 2019ની ચૂંટણીમાં ભાજપે પરભુ વસાવા પર દાવ ખેલ્યો છે. અહીં કોંગ્રેસે એક સમયના આદીવાસી લિડર અમરસિંહ ઝેડ ચૌધરીના દીકરા સિદ્ધાર્થ ચૌધરી પર દાવ ખેલ્યો છે. 

(7) ભરૂચ:  ભાજપ અને આપ વચ્ચે થશે ટક્કર

સાત તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં પણ તમામ 26 બેઠકો પર ભાજપના ઉમેદવારો જંગી બહુમતીથી જીત્યા હતી. ભરૂચ લોકસભા બેઠક પર છેલ્લા 28 વર્ષથી શાસન કરી રહેલા ભાજપના મૂળિયા ઉખેડવામાં કોંગ્રેસ સતત નિષ્ફળ ગઈ હતી. ટ્રાઈબલ નેતા અને ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ જંગી બહુમતીથી કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણને હરાવ્યાં છે. ભરૂચ બેઠક પર ભાજપના મનસુખ વસાવાએ કોંગ્રેસના શેરખાન પઠાણને 334214 મતોથી હરાવ્યાં.  મનસુખ વસાવાને 637795 મતો જ્યારે શેરખાન પઠાણને 303581 મતો મળ્યાં. આ લોકસભાની ચૂંટણીમાં અહીં આપના ઉમેદવાર ચૈતર વસાવા મેદાને છે. ભાજપે અહીં મનસુખ વસાવાને રીપિટ કર્યા છે. આ બેઠક માટે આપ અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે. 

(8) ભાવનગર: આપના ઉમેશ મકવાણા સામે મહિલા ઉમેદવાર

ભાવનગરની લોકસભા બેઠક પર 1991થી ભાજપનો કબ્જો છે. ગત ચૂંટણીમાં ભાજપ તરફથી ડો.ભારતીબેન શિયાળ અને કોંગ્રેસ તરફથી મનહરભાઈ પટેલ ચૂંટણીના મેદાનમાં હતાં. ભાજપના ભારતીબેન શિયાળે કોંગ્રેસના મનહરભાઈ પટેલને 329519 મતોથી હરાવ્યાં. આ બેઠક પર 6 વખત ભાજપના ક્ષત્રિય અને એક વખત કોળી ઉમેદવાર વિજેતા બન્યા છે. ભાજપે વર્તમાન સાંસદ ભારતીબેન શિયાળને રિપીટ કરીને ચૂંટણી જીતવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. તેની સામે કોંગ્રેસે પ્રથમ વખત પટેલને મેદાનમાં ઉતારીને નવા સમીકરણ માંડ્યા હતા. ભાવનગરની લોકસભા બેઠકમાં સૌથી વધુ વસતી કોળી, પાટીદાર અને ક્ષત્રિય સમાજની છે. આ લોકસભાની ચૂંટણીમાં ભાજપે મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે. અહીંથી આપના ઉમેશ મકવાણા ઉમેદવાર છે. અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને આધારે ચૂંટણી લડાઈ રહી છે. 

(9)  છોટા ઉદેપુર: ભાજપનો જુગાડ સફળ રહ્યો, રાઠવા વચ્ચે ટક્કર

એસ ટી માટે અનામત એવી છોટા ઉદેપુર બેઠક ઉપર ભાજપે પહેલીવાર 2019માં મહિલા ઉમેદવાર ગીતાબેન રાઠવાને તક આપી હતી. છોટા ઉદેપુરની બેઠક પર ગીતાબેન રાઠવાએ કોંગ્રેસના રણજીતસિંહ રાઠવાને 377943 મતોથી હરાવ્યાં. ચાલુ સાંસદ રામસિંહ રાઠવાની ટીકીટ કાપી છોટાઉદેપુર બેઠક ઉપર પ્રથમ વાર મહિલા ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતાં. જે જુગાર ફળ્યો હતો. આ લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગીતાબેનનું પત્તુ કાપીને જશુભાઈને ટિકિટ આપી છે. કોંગ્રેસ અહીંથી સુખરામ રાઠવાને લડાવે તો નવાઈ નહીં. અહીં પણ રાઠવા બંધુઓ વચ્ચે કાંટાની ટક્કર છે. 

(10) દાહોદ: આદિવાસી બહુમતી ધરાવતી બેઠક

એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી દાહોદ લોકસભા બેઠક ઉપર અત્યાર સુધીમાં 3 વાર ભાજપને જીત મળી છે. છેલ્લા એક દાયકાથી મજબુત બનેલી સ્થિતિ હવે વધુ મજબુત બની રહી છે. દાહોદ (એસટી) બેઠક પર ભાજપના જશવંતસિંહ ભાભોરે કોંગ્રેસના બાબુભાઈ કટારાને 127596 મતોથી હરાવ્યાં. કોંગ્રેસે 2009 માં આ બેઠક ભાજપ પાસેથી આંચકી હતી. પરંતુ ત્યારબાદ 2014માં ભાજપે ફરીથી આ બેઠક પર કબ્જો જમાવ્યો હતો. ગુજરાત વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણી વખતે પણ ભાજપનું પલ્લુ ભારે થયું હતુ કેમ કે, દાહોદ લોકસભા બેઠકમાં આવતી સાત વિધાનસભા બેઠકો પૈકી 4 ઉપર ભાજપનો કબજો છે જ્યારે ત્રણ બેઠકો ઉપર કોંગ્રેસનો કબજો છે. આ લોકસભાની ચૂંટણીમાં ભાજપે  જશવંતસિંહ ભાભોર પર ફરી ભરોસો મૂક્યો છે. અહીં ભાજપ સતત જશવંતસિંહ પર જુગાર ખેલી રહ્યું છે.    

(11) ગાંધીનગર: લીડમાં તો અમિત શાહે અડવાણીનો રેકોર્ડ તોડ્યો 

ગાંધીનગર બેઠક પર ભાજપના અમિત શાહે કોંગ્રેસના સી જે ચાવડાને 557014 મતોની જંગી લીડથી હરાવ્યાં. ગાંધીનગર બેઠક ભાજપ અને કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાની દાવ સમાન બેઠક ગણાય છે. આ એ જ બેઠક છે, જેમાં ભાજપે પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણીને હટાવીને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ટિકીટ આપી હતી. અમિત શાહ પહેલીવાર લોકસભાનું ઈલેક્શન લડી રહ્યા હતા. ત્યારે તેમના માટે આ સીટ જાળવવા કરતા લાલકૃષ્ણ અડવાણીની લીડ જાળવવી વધુ ચેલેન્જિંગ હતી. ત્યારે અમિત શાહે ગાંધીનગર બેઠક પર કોંગ્રેસનો સફાયો કર્યો હતો. આ ચૂંટણીમાં ભાજપે અમિત શાહને ફરી રીપિટ કર્યા છે. ભાજપે અહીં 10 લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ મૂક્યો છે. ગાંધીનગરમાં ભાજપનો દબદબો હોવાથી કોંગ્રેસ અહીં નામ જાહેર કરી શકી નથી. 

(12) જામનગર: પૂનમ માડમનો દબદબો 
2019ની લોકસભામાં જામનગર બેઠક પર પૂનમબેન માડામે કોંગ્રેસના મૂળુભાઈ કંડોરિયાને 236804 મતોથી હરાવ્યાં. જામનગરમાં લોકસભા બેઠક પર ગત વખતે ભાજપે કબજો મેળવ્યા બાદ ફરીથી આ વખતે પણ ભાજપ દ્વારા લોકસભા બેઠક પર જામનગરના મહિલા સાંસદ પૂનમબેન માડમને રિપીટ કરવામાં આવ્યા હતા. ભાજપે 2024માં પણ પૂનમબેન પર ભરોસો મૂક્યો છે. અહીં રસાકસી જામે તેવી પૂરી સંભાવના છે. કોંગ્રેસ હજુ અહીંથી ઉમેદવાર જાહેર કરી શકી નથી.

(13) જૂનાગઢ: ભાજપ અને કોંગ્રેસ બંનેમાં ડખા

જૂનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાનો 2019માં ભવ્ય વિજય થયો છે. રાજેશભાઈ ચૂડાસમાએ કોંગ્રેસના પૂજાભાઈ વંશને 1,50185 મતોથી હરાવ્યાં. અહીં ભાજપ અને કોંગ્રેસ બંનેનો દબદબો રહે છે. જુનાગઢ બેઠકમાં પણ 2017ના પરિણામોની અસરના કારણે બીજેપી માટે જીત હાંસિલ કરવી સરળ ન હતી.  ભાજપે ફરી એકવાર યુવા સાંસદ રાજેશ ચૂડાસમાને ફરી એકવાર તક આપી હતી. 2014માં રાજેશ ચુડાસમાએ જીત તો મેળવી હતી, પણ ફરી ટીકીટ મળવા બાદ પણ ચુડાસમાને ફરી ટિકીટ આપશે કે નહિ આપે તે મોટો પ્રશ્ન હતો. તેમની ટિકીટ કપાય તેવી શક્યતા હતી. જોકે, ભાજપે તેમના પર જ ભરોસો દાખવ્યો હતો. 2014ના લોકસભા ઈલેક્શનમાં પણ રાજેશ ચૂડાસમા અને પૂજાભાઈ વંશ જ સામસામે હતા, અને રાજેશભાઈ 135832 માર્જિનથી જીત્યા હતા. જોકે, આ વખતની તેમની માર્જિન બહુ વધી નથી. જેથી ભાજપે 2024માં પણ તેમને ટિકિટ ફાળવી નથી. અહીં હજુ કોકડું ઉકેલાયું નથી. 

(14) કચ્છ : ભાજપના વિનોદ ચાવડા ભાજપનો આધાર

2019ની લોકસભામાં કચ્છ બેઠક પર ભાજપના વિનોદ ચાવડાએ કોંગ્રેસના નરેશ મહેશ્વરીને 305513 મતોથી હરાવ્યાં. કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરી દલિત સમાજના મોટા આગેવાન છે. ભાજપ માટે આ વખતે સૌથી મોટો પડકાર ભાજપની જૂથબંધી હતી. આ મતવિસ્તારમાં ક્ષત્રિય, લોહાણા, મુસ્લિમ, આહિર, જૈન, પાટીદાર, સિંધી, વાણિયા, બ્રાહ્મણ, ગઢવી, માલધારી, દલિત આ બધી જ્ઞાતિઓના મતદારો નોંધપાત્ર સંખ્યામાં છે. જ્ઞાતિવાદ સમીકરણો અહીં ચાલતા નથી. ભાજપના ચાવડા નિર્વિવાદ વ્યક્તિત્વ અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા નેતા તરીકે મતદારોમાં ઓળખાય છે. એટલે ભાજપે તેમને 2024માં રીપિટ કર્યા છે. વિનોદ ચાવડા એ પાટીલ જૂથના ગણાય છે અને સંગઠનમાં પણ દબદબો ધરાવે છે. 

(15) ખેડા : ભાજપના દેવુસિંહ પર ફરી રીપિટ

2019માં ખેડા લોકસભા બેઠકના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે જંગી બહુમતથી જીત મેળવી હતી. ખેડા બેઠક પર દેવુસિંહ ચૌહાણે કોંગ્રેસના બિમલ શાહને 367145 મતોથી હરાવ્યાં.  ભાજપ દ્વારા ખેડા બેઠક પર દેવુસિંહ ચૌહાણને ત્રીજીવાર ફરી રીપીટ કરવામાં આવ્યા છે. જેનું કારણ એ છે કે, દેવુસિંહનું ખેડા જિલ્લામાં પ્રભુત્વ છે. સરકારે તેમને 2019ની ચૂંટણી બાદ મંત્રી પણ બનાવ્યા હતા. 2024માં પણ એમને ભાજપે ફરી રીપિટ કર્યા છે. કોંગ્રેસ અહીં ઉમેદવાર જાહેર કરી શકી નથી. 

(16) મહેસાણા : ભાજપ જાહેર નથી કરી શક્યું ઉમેદવાર

મહેસાણા બેઠક પર ભાજપના શારદાબેન પટેલે કોંગ્રેસના એ જે પટેલને 281519 મતોથી હરાવ્યાં હતા. પાટીદાર બહુમતી ધરાવતું મહેસાણા ઉત્તર ગુજરાતનું પ્રવેશદ્વાર ગણાય છે. છેલ્લા એક દાયકાથી ઔદ્યોગિક વિકાસને કારણે આ શહેરનો ઝડપી વિકાસ થયો છે. ગુજરાતમાં ચાલેલા પાટીદાર આંદોલન સમયે મહેસાણા મુખ્ય એપી સેન્ટર હતું. ભાજપ દ્વારા અહીં પ્રમાણમાં અજાણ્યા કહી શકાય એવા શારદાબેન પટેલને ટિકિટ આપવામાં આવી હતી, જ્યારે તેમની સામે કોંગ્રેસ દ્વારા પૂર્વ સનદી અધિકારી એ.જે. પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતાં. શારદાબેને અહીં દબદબાભેર જીત મેળવી હતી. આ બેઠક પર શારદાબેને સામેથી જ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. ભાજપ અહીં પોતાનો ઉમેદવાર જાહેર કરી શકી નથી. મહેસાણા એ ભાજપનો ગઢ હોવાની સાથે રાજકારણની લેબોરેટરી ગણાય છે. 40 વર્ષ પહેલાં ભાજપનો ઉદય આ બેઠક પરથી થયો હતો.
 

(17) નવસારી: સીઆર પાટીલનો છે અહીં દબદબો

2019ની લોકસભાની ચૂંટણીમાં નવસારી બેઠક પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પોતાનો જ રેકોર્ડ તોડતા કોંગ્રેસના ધર્મેશ પટેલને 6,89,668 મતોથી હરાવ્યાં. નવસારી બેઠક પર કોંગ્રેસનું કોળી કાર્ડ ચાલ્યું ન હતું. ભાજપના નેતા સી આર પાટીલ જંગી બહુમતીથી જીતી ગયા.  નવસારી લોકસભા બેઠક 2009માં અસ્તિત્વમાં આવી હતી. આ અગાઉ નવસારી જિલ્લાનો વલસાડ લોકસભા બેઠકમાં સમાવેશ થતો હતો. ભાજપ દ્વારા 2009થી આ બેઠક પર જીતતા આવેલા સી.આર. પાટીલને રિપીટ કરવામાં આવ્યા છે, જેની સામે કોંગ્રેસ દ્વારા કોળી કાર્ડ ખેલવામાં આવ્યું છે. આ બેઠક પર કોળી સમાજની બહુમતિ છે અને કોળી સમાજે આ બેઠક પર કોળી ઉમેદવાર ઉભો રાખવામાં આવે તેવી માગ કરી હતી. આથી, કોંગ્રેસ દ્વારા કોળી સમાજના યુવાન નેતા અને વિજલપોર નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ ધર્મેશ પટેલને ટિકિટ આપવામાં આવી હતી. જોકે, પાટીલે આ બેઠકમાં દેશમાં સૌથી વધારે લીડથી જીતીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ લોકસભાની ચૂંટણીમાં ભાજપે સીઆર પાટીલને રિપિટ કર્યા છે પણ કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરી શકી નથી. ચર્ચા એવી છે કે, અહેમદ પટેલના દીકરી મુમતાઝને અહીંથી ચૂંટણી લડાવી શકે છે. 

(18) પંચમહાલ: ભાજપે ઉમેદવાર બદલ્યો

પંચમહાલ બેઠક પર ભાજપના રતનસિંહ રાઠોડે કોંગ્રેસના વી કે ખાંટને 4,28,541 મતોથી હરાવ્યાં. પંચમહાલ લોકસભા બેઠક માટે કોંગ્રેસના વી કે ખાંટ અને ભાજપના રતનસિંહ રાઠોડ વચ્ચે મુકાબલો હતો. ગત વખતની જેમ આ વખતની ચૂંટણીમાં પણ ભાજપને ગુજરાતમાંથી તમામ બેઠકો જંગી બહુમતીથી મળી છે. જોકે, ભાજપે અહીં ઉમેદવાર બદલી દીધો છે. ભાજપે રતનસિંહ પર ભરોસો મૂક્યો નથી. ભાજપે અહીં રાજપાલસિંહ જાદવને ઉમેદવાર બનાવ્યા છે. અહીં ભાજપનો દબદબો હોવા છતાં ભાજપે અહીં ઉમેદવાર બદલી દઈ રિસ્ક લેવાનું ટાળ્યું છે. 

19) પાટણ: મહત્વની બેઠક પર ભાજપનો સપાટો
પાટણ બેઠક પર ભાજપના ભરતસિંહ ડાભીએ કોંગ્રેસના જગદીશ ઠાકોરને 1,93,879 મતોથી હરાવ્યાં. પાટણનો ઈતિહાસ જેટલો મહત્વનો છે તેટલી જ પાટણ લોકસભા સીટ મહત્વની છે. આ સીટ પરથી ભાજપના ભરતસિંહ ડાભીનો મુકાબલો કોંગ્રેસના જગદીશ ઠાકોર સામે હતો. ભાજપના ઉમેદવાર જંગી બહુમતીથી જીતી ગયા હતા.  છેલ્લી 3 ચૂંટણીઓની વાત કરીએ તો 2014માં પણ આ બેઠક ભાજપે જીતી હતી. આ ચૂંટણીમાં ભાજપે ભરતસિંહ ડાભીને ફરી રીપિટ કર્યા છે. કોંગ્રેસ અહીંથી ચંદનજી ઠાકોરને લડાવી શકે છે. ભરતસિંહ ડાભી સામે અનેક વિવાદો છતાં ભાજપે અહીં જ્ઞાતિ સમીકરણોને આધિન ડાભીને રીપિટ કર્યા છે. 

(20)  પોરબંદર: કદાવર મંત્રી લડી રહ્યાં છે ચૂંટણી

2019ની લોકસભાની ચૂંટણીમાં પોરબંદર બેઠક પર ભાજપના રમેશભાઈ ધડૂકે કોંગ્રેસના લલિત વસોયાને 229823 મતોથી હરાવ્યાં હતાં. આ બેઠકએ ભાજપ અને કોંગ્રેસનો ગઢ ગણાય છે. છેલ્લા કેટલાક સમયથી અહીંથી ભાજપના ઉમેદવાર જીતતા આવ્યા છે. કોંગ્રેસે અહીં ઓપરેશન લોટસ ચલાવી પોરબંદર બેઠકના ધારાસભ્ય અર્જુંન મોઢવાડિયા અને  માણાવદર બેઠકના અરવિંદ લાડાણીને ભાજપમાં લઈ લીધા છે. અહીં લોકસભાની ચૂંટણી સાથે જ પેટા ચૂંટણી યોજાવાની છે. ભાજપને આશા છે કે લોકસભાના ઉમેદવાર અને સરકારના મંત્રી મનસુખ માંડવિયા અહીંથી ભારે લીડથી વિજેતા બનશે. મનસુખ માંડવિયા લેઉવા પાટીદાર છે અને લોકસભાની પ્રથમવાર ચૂંટણી લડી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news