એવું શું થયું કે મહાકાય મચ્છુ 2 ડેમ ખાલી કરાશે? 34 ગામને કરાયા એલર્ટ, 1400 કયુસેક પાણી છોડયું

આ વખતે પણ આગામી ચોમાસા સુધી મોરબીના લોકોને પીવાના પાણી માટેની કોઈ ચિંતા નથી. જોકે મચ્છુ બે ડેમના 38 પૈકીના પાંચ દરવાજા જોખમી બન્યા હોવાથી તેને બદલાવા માટેની કામગીરી હાથ ઉપર લેવામાં આવી છે અને આગામી દોઢ મહિનાની અંદર આ પાંચ દરવાજા બદલવા માટેની કામગીરી અમદાવાદના કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવી છે. 

એવું શું થયું કે મહાકાય મચ્છુ 2 ડેમ ખાલી કરાશે? 34 ગામને કરાયા એલર્ટ, 1400 કયુસેક પાણી છોડયું

હિમાંશું ભટ્ટ/મોરબી: મોરબી નજીકના મચ્છુ બે ડેમના 38 દરવાજા પૈકીના પાંચ દરવાજાઓને બદલવાના છે. જેથી કરીને ડેમમાં હાલમાં જે પાણીનો જળ જથ્થો ભર્યો છે તે નદીમાં છોડીને ડેમને ખાલી કરવા માટેની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. આગામી 1.5 મહિનામાં આ ડેમના પાંચ દરવાજા બદલવાના છે. 

મોરબી અને માળિયા તાલુકા માટે મચ્છુ બે ડેમ આશીર્વાદ સમાન છે અને આ ડેમમાંથી બંને તાલુકાના પીવા અને સિંચાઈ માટેનું પાણી મળતું હોય છે. આ વખતે પણ આગામી ચોમાસા સુધી મોરબીના લોકોને પીવાના પાણી માટેની કોઈ ચિંતા નથી. જોકે મચ્છુ બે ડેમના 38 પૈકીના પાંચ દરવાજા જોખમી બન્યા હોવાથી તેને બદલાવા માટેની કામગીરી હાથ ઉપર લેવામાં આવી છે અને આગામી દોઢ મહિનાની અંદર આ પાંચ દરવાજા બદલવા માટેની કામગીરી અમદાવાદના કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવી છે. 

મચ્છુ ડેમના અધિકારી પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આ ડેમમાં 3104 એમસીએફટી પાણીનો જળ જથ્થો સંગ્રહીત થાય છે. જોકે હાલમાં આ ડેમની અંદર 989 એમસીએફટી પાણીનો જળ જથ્થો ભરેલો છે. તેમાંથી ડેમના દરવાજાના રીપેરીંગ કામ માટે થઈને 730 કરતાં વધુ પાણીનો જથ્થો મચ્છુ નદીમાં છોડી દેવામાં આવશે અને આ પાણીનો જળ જથ્થો છોડવા પહેલા મોરબી અને માળિયા તાલુકાના 34 ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. 

સલામતીના ભાગરૂપે પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ પણ મચ્છુ નદીના પટ વિસ્તારમાં લોકોની અવરજવર ન થાય તેના માટેની પૂરી તકેદારી રાખી રહ્યા છે અને ખાસ કરીને ઉનાળામાં મોરબી અને માળિયા તાલુકાના પીવાના પાણીની કોઈ સમસ્યા ન થાય તે માટેનું પણ આયોજન કર્યું છે. જેના ભાગરૂપે મચ્છુ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ નર્મદાની મચ્છુ કેનાલ મારફતે મોરબીના મચ્છુ બે ડેમ સુધી નર્મદાનું પાણી મોકલવામાં આવશે અને તેના થકી બંને તાલુકાઓને આગામી ચોમાસા સુધી પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે. 

આજથી મોરબીની મચ્છુ નદીમાં મચ્છુ બે ડેમમાંથી પાણીનો જળ જથ્થો બે દરવાજા ખોલીને છોડવામાં આવી રહ્યો છે. જોકે આગામી સમયમાં વધુ દરવાજા ખોલીને પાણીનો જળ જથ્થો નદીમાં છોડવામાં આવશે, પરંતુ દોઢ મહિનાના સમયગાળા દરમિયાન જો ચોમાસુ સક્રિય થઈ જશે તો મચ્છુ બે ડેમના દરવાજા બદલવાની કામગીરી સો ટકા પૂર્ણ થશે કે કેમ તે હાલમાં કહેવું મુશ્કેલ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news