ચૂંટણીમાં કોણે દગો કર્યો! ભાજપના નેતાઓના બગાવતી સૂરના અવાજ કમલમના કાન સુધી પહોંચ્યા

Loksabha Election 2024 : લોકસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણ દિગ્ગજ નેતાઓએ ભાજપના ઉમેદવારોને હરાવવાનું કામ કર્યું હતું, જેની ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચી છે, લોકસભા બાદ આ નેતાઓ સામે કાર્યવાહી થાય તો નવાઈ નહીં, આ 3 નેતાઓમાં તો 2 પૂર્વ મંત્રીઓની ફરિયાદ કમલમ સુધી પહોંચી છે.  
 

ચૂંટણીમાં કોણે દગો કર્યો! ભાજપના નેતાઓના બગાવતી સૂરના અવાજ કમલમના કાન સુધી પહોંચ્યા

Gujarat BJP : ભાજપના 30 વર્ષના શાસનમાં પહેલીવાર એવું જોવા મળ્યું કે, શિસ્તબદ્ધ પાર્ટીમાં અવાજ ઉઠ્યા છે. વિરોધમાં દેખાઈ રહેલા બગાવતી સૂરના અવાજ કમલમના કાન સુધી પહોંચ્યા છે. ત્યારે હવે પ્રદેશનુ નેતૃત્વ જલ્દી જ એક્શન લે તેવું દેખાઈ રહ્યું છે. ચર્ચા છે કે, લોકસભાની ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા સૌરાષ્ટના ત્રણ નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢવા માટે રજૂઆત કરવામાં આવી છે. ચૂંટણીના ઉમેદવારોની પ્રદેશ નેતાગીરીને આ મામલે રજૂઆત કરાઈ છે. ત્યારે ભાજપ ગમે ત્યારે આ મામલે એક્શન લઈ શકે છે. 

કોણ છે આ નેતાઓ
અમરેલીના વર્તમાન સાંસદ નારણ કાછડીયા, બે ભૂતપૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજા અને જવાહર ચાવડા 

નેતાઓને કરાઈ ફરિયાદ
પ્રદેશ નેૃત્વને ફરિયાદ કરાઈ છે કે, આ ત્રણેય નેતાઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવા જોઈએ. જેથી અન્યોમાં દાખલો બેસે. જોકે, આ મામલે હાઈકમાન્ડ લોકસભાના પરિણામ સુધી રાહ જોશે તેવુ લાગી રહ્યું છે. હાઈકમાન્ડે ફરિયાદ કરનારાઓને એક્શન લેવાની ખાતરી આપી છે. તેથી લોકસભાની ચૂંટણી બાદ નવાજૂની થઈ શકે છે. 

અમરેલીના ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા હાઈકમાન્ડને ફરિયાદ કરી છે કે, નારણ કાછડીયાને પોતાને હરાવવા પ્રયાસો કર્યાં છે. આ ઉપરાંત નારણ કાછડીયાએ ઈફ્કોની ચૂંટમીમાં ભાજના સત્તાવાર ઉમેદવાર બિપીન ગોતાને હરાવવા દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયાને મદદ કરી હતી. આ કારણે પહેલેથી ભાજપ તેમના પર ભડકેલું છે. 

તો બીજી તરફ, જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમ માડમને હરાવવા ભાજપના જ ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજાએ ભરપૂર પ્રયાસો કર્યા હોવાની માડમે રજૂઆત કરી કરી છે. માડમ સામેનો રાજકીય હિસાબ સરભર કરવા માટે હકુભાએ રૂપાલા વિવાદમાં આગ હોમવાનું કામ કર્યુ હતું. તેમજ હકુભાઈ કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર જેપી મારવિયા સાથે મળીને ક્ષત્રિય અને પાટીદારો પાસેથી ભાજપ વિરોધી મતદાન કરાવ્યું હોવાની પણ તેમની સામે ફરિયાદ કરાઈ છે. ચર્ચા એ પણ છે કે, આ જ કારણ છે કે હકુભા લાંબા સમયથી ભાજપના કાર્યક્રમોમાં દેખાતા નથી. 

ચાવડા પણ લાંબા સમયથી ભાજપના કાર્યક્રમથી દૂર

 બીજી તરફ, માણાવદરમાં જવાહર ચાવડાએ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીને હરાવવાનું કામ કર્યું હતું. જેની ફરિયાદ પણ લાડાણીએ હાઈકમાન્ડને કરી છે. ચાવડા પણ લાંબા સમયથી ભાજપના કાર્યક્રમથી દૂરી બનાવીને બેસ્યા છે. 

ગુજરાતમાં ભાજપના મેન્ડેટની વિરૂધ્ધ જયેશ રાદડીયાએ વટથી ઈફ્કોના ડાયરેકટરની ચૂંટણી જીતી બતાવી અને દિલિપ સંઘાણીએ એ જ સમયે પ્રદેશ ભાજપ પ્રમુખના ઈલુ ઈલુનો ખુલ્લો જવાબ આપી દીધા બાદ આ બન્ને નેતા સામે શિસ્તભંગની કોઈ મજબૂત માંગ પક્ષમાંથી થઈ નથી બલ્કે બન્નેને પક્ષના નેતાઓનું પરોક્ષ સમર્થન મળી રહ્યું છે. 

આ નેતાઓ રહ્યા હાજર

જન્મદિવસની ઉજવણી આમ તો કેક કાપી મોજમજા કરીને થતી હોય છે પરંતુ, તેના નામ પર ગઈકાલે અમરેલીમાં યોજાયેલ સંઘાણીના સન્માનની સભામાં મુખ્યમંત્રી પદ નહીં મેળવી શકનાર અને હવે ધારાસભ્યપદે પણ નહીં તેવા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ આ શક્તિપ્રદર્શન નથી તેવો ખુલાસો કરતા હાજર રહ્યા હતા તો વિવાદીત નિવેદન ટાળીને જયેશ રાદડીયા પણ સ્વાભાવિક રીતે હાજર રહ્યા હતા.ઉપરાંત  ભાજપે પસંદ કરેલા અમરેલીના ઉમેદવાર સુતરિયા સામે ખુલ્લો વિરોધ કરનાર અને આ પસંદગીના કારણે લીડ ઘટશે તેમ કહેનાર સાંસદ નારણ કાછડીયા  પણ આ પ્રસંગે હાજર હતા. આમ નેતાઓની હાજરીની પણ નોંધ લેવાઈ રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news